Translate

Search This Blog

Tuesday, July 19, 2016

સદગુરુ સાધક માટે અદ્વિતીય હોય છે, અજોડ હોય છે

The article displayed below is reproduced here with the courtsy of Divya Bhaskar - a leading Gujarati daily.


સદગુરુ સાધક માટે અદ્વિતીય હોય છે, અજોડ હોય છે


‘રામચરિત માનસ’માં ગોસ્વામીજી મંગલાચરણ કરે છે ત્યારે એમાં પહેલાં ભગવતી સરસ્વતી અને ગણેશજીની વંદના કરે છે. વ્યક્તિના જીવનમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોવાં જોઇએ. એટલા માટે ત્યાર પછી શિવ અને પાર્વતીની વંદના કરે છે. અને ત્યારબાદ મંગલાચરણના મંત્રોમાં મુખ્યભાવે ગુરુની વંદના આવી છે. અને તમે બરાબર જોજો, એક-એક શ્લોકમાં ગોસ્વામીજીએ બે-બેની વંદના કરી છે. પહેલા શ્લોકમાં ‘વન્દે વાણીવિનાયકૌ’ વાણી અને વિનાયક અને બીજા શ્લોકમાં ‘ભવાનીશંકરૌ વન્દે’, શિવ અને પાર્વતીની વંદના.

ચોવીસ ગુરુનો મતલબ છે, જેવી રીતે પરમાત્માના ચોવીસ અવતાર છે એવી રીતે ગુરુ પણ ચોવીસ રૂપે પ્રગટ થઈ જાય છે

ત્રીજા શ્લોકને છોડી દઇએ તો ચોથા શ્લોકમાં કવીશ્વર અને કપીશ્વરની વંદના તથા પાંચમા શ્લોકમાં સીતા અને રામની સાથે વંદના કરી. આગળ અને પાછળ બે-બેની વંદના એક સાથે કરી, પરંતુ જ્યારે ગુરુની વંદના આવી ત્યારે કેવળ ગુરુની જ વંદના કરી, કેમ કે ગોસ્વામીજીનું કહેવું કે ગુરુ અદ્વિતીય છે, ગુરુ અજોડ છે. એના પરથી તમે સમજી શકશો કે ગોસ્વામીજીના જીવનમાં ગુરુનો મહિમા કેવો હતો. જ્યાં સુધી સાધકને પોતાના ગુરુમાં અદ્વિતીયતા દેખાય નહીં ત્યાં સુધી સાધક ગુરુને સમજ્યો નથી અથવા ગુરુએ દરવાજો તો ખોલ્યો પરંતુ સાધકને બોલાવ્યો નથી. એ બે બાબતો હોઇ શકે.

ગુરુ અજોડ હોય છે. ગુરુ બહુ મોટો આશ્રય છે. ગુરુવંદનામાં ગુરુઆશ્રયથી ગોસ્વામીજી ગુરુદર્શનનો આરંભ કરે છે. જેવી રીતે કોઇ બગીચામાં સમજદાર ખેડૂત પુષ્પનાં બીજ ચારેબાજુ વેરી દે એવી રીતે મારા ગોસ્વામીજીએ ‘માનસ’નાં બધાં કાંડોમાં ગુરુતત્ત્વનાં બીજ વાવી દીધાં છે. ગુરુજનોનું કેટલું મોટું જગત છે! કેટલો બધો મહિમા છે ગુરુજનોનો!

‘ભાગવતજી’માં દત્ત ભગવાને ચોવીસ ગુરુ કર્યા છે, એનો મતલબ શું? દત્તને ગુરુ જ કરવા હતા તો ચોવીસ જ શા માટે કર્યા? શુકદેવજીને, ભગવાન વેદવ્યાસને ચોવીસનો અંક કેમ પસંદ પડ્યો? એ અકસ્માત છે કે યોગ છે? કે પછી એની પાછળ કોઇ વિધિવત્ ગણિત છે? એ યોગ અને અકસ્માતની વાત નથી, એ વિધિવત્ ગણિત છે. ચોવીસ ગુરુનો મતલબ છે, જેવી રીતે પરમાત્માના ચોવીસ અવતાર છે એવી રીતે ગુરુ પણ ચોવીસ રૂપે પ્રગટ થઇ જાય છે. એટલા માટે તો ગુરુને આપણે પરબ્રહ્મ કહ્યા છે, ગુરુ નરરૂપ હરિ છે.

આ વિશ્વમાં ગુરુ જેવું પરસ્પર વિરોધાભાસી વ્યક્તિત્વ કોઇ પેદા થયું નથી, છે નહીં અને થશે પણ નહીં. એક જ વ્યક્તિત્વ તદ્દન વિરોધી હોય છે અને એગુરુ હોય છે. એટલા માટે ગુરુ અજોડ છે, નિરુપમ છે. એક જ વ્યક્તિમાં જમીન-આસમાનનું અંતર તમે જોઇ શકશો. એ રહસ્ય ગોસ્વામીજી ગુરુને નરરૂપ હરિ કહીને ખોલે છે. તમને ગુરુમાં પૂરી નિષ્ઠા હશે તો તમે એક બાજુથી જોશો તો તમને લાગશે કે એ મનુષ્ય છે. એ આપણા જેવા છે. કપડાં પહેરે છે, ખાય છે, પીએ છે, સૂએ છે. અને બીજા એંગલથી જોશો તો લાગશે કે નહીં, એ મનુષ્ય નથી, એ પરમાત્મા છે.

એક જ વ્યક્તિત્વમાં કેટલો બધો વિરોધાભાસ તમને જોવા મળશે! આ કેવળ ભારતીય અધ્યાત્મજગતમાં જ સંભવ છે. ક્યારેક-ક્યારેક તમને લાગશે કે એ નર છે. તો ક્યારેક-ક્યારેક લાગશે કે ના, ના, એ નરરૂપ હરિ છે. એ સાક્ષાત્ પ્રભુ છે. એટલા માટે ગોસ્વામીજી સિદ્ધ કરવા માગે છે કે ગુરુ અદ્વિતીય છે. એમના જેવું બીજું કોઇ નથી.

ગુરુ સાધક માટે અજોડ છે. અને તુલસીદાસજીનો અભિપ્રાય તો એવો છે કે જો કોઇને ગુરુની પહેલાં ઈશ્વર મળી જાય તો પણ એ ઇશ્વરને સારી રીતે પામી શકતા નથી. સદગુરુનો આશ્રય બહુ જ આવશ્યક છે. ભગવાન તો મળી જાય છે. ‘રામાયણ’માં ઘણા લોકોને ભગવાન મળ્યા પરંતુ મળ્યા બાદ પ્રભુ ઉપર સંશય થઇ ગયો. ઘણા લોકોને ભગવાનનાં દર્શન થયાં અને પછી તેઓ અહંકારી થઇ ગયા. સીધા ભગવાન મળવાથી શું ફાયદો? કદાચ એટલા માટે જ આપણે ત્યાં ભક્તોએ ગાયું છે કે-

ગુરુ ગોવિંદ દોઉ ખડે, કાકે લાગું પાય,
બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય.

ગોવિંદને પૂર્ણરૂપે કોણ બતાવી શકે છે? ગુરુ જ બતાવી શકે છે. એમ જ ભગવાન મળી જાય તો સીધી ક્યાં ખબર પડે છે?

હું વિદેશી મહાપુરુષોને વાંચી રહ્યો હતો, એમાં સોક્રેટિસે એક વચન કહ્યું છે, પરંતુ એ અધૂરું છે. પૂરેપૂરું કોઇ સૂત્ર શીખવું હોય તો હિન્દુસ્તાનમાં જ આવવું પડે છે. સોક્રેટિસે કહ્યું કે ગુરુ એક દાયણ છે, બાળકને જન્મ આપનારી નર્સ છે. એટલે કે એ કહેવા માગતા હતા કે ગુરુ જન્મ આપી દે છે. દ્વિજ બનાવી દે છે. પરંતુ એ પૂરું નથી. નવો જન્મ ક્યારે થાય છે? જ્યારે આપણે મરી જઇએ છીએ ત્યારે. તો આ દેશની સંસ્કૃતિ કહેશે કે ગુરુ કેવળ દાયણ નથી. એ પહેલાં મારે છે, પછી પેદા કરે છે. પહેલાં અહંકારને, સંદેહને, સંશયને, ભ્રમને પૂરેપૂરાં ખતમ કરી નાખે છે અને પછી નવો જન્મ આપે છે. તેઓ પુનર્જીવિત કરે છે. ગુરુ પહેલાં મારે છે. અને મારવા પડે છે. એ આવશ્યક છે. પહેલાં તો એની હસ્તી મિટાવી દેવામાં આવે છે અને પછી એ ભૂમિકાએથી કોઇ દિવ્ય પુષ્પ ખીલી જાય છે. ગુરુજનોનું આ કાર્ય છે.

તો, સદગુરુ સાધક માટે અદ્વિતીય હોય છે, અજોડ હોય છે. અને સાધકનો ભાવ અનન્ય હોય તો શું નથી થઇ શકતું? સંત નામદેવના જમાનાની પ્રસિદ્ધ કથા છે. એક વૃદ્ધ માતાજીએ સંકલ્પ કર્યો કે મારે અગિયારસો બ્રાહ્મણોને ભોજન કરાવવું છે. એ વાત નામદેવે સાંભળી. નામદેવ ગુરુ હતા. સદગુરુની ભૂમિકાએ પહોંચી ગયા હતા એ મહાપુરુષ. નામદેવ પોતાની સાથે એક બાળકને લઇને એ વૃદ્ધ માતાજીને ઘેર આવે છે અને ભિક્ષા માગે છે. માતાજીએ ભોજન બનાવ્યું. એમના મનમાં તો અગિયારસો બ્રાહ્મણોને ભોજન કરાવવાનો સંકલ્પ હતો. નામદેવજીને ભોજન પીરસી દીધું.

નામદેવજીએ બ્રહ્માર્પણ કરીને ભોજન કર્યું. એક પતરાળામાં ભોજન કર્યું હતું. જ્યારે ભોજન પૂરું થયું ત્યારે બુદ્ધિ કામ ન કરે એવી એક ઘટના બની! આ દંતકથા નથી, સંતકથા છે. પોતાની સાથે જે બાળક હતો એને કહ્યું કે બેટા, ભોજન થઇ ગયું છે, પતરાળું ઉઠાવી લો. બાળક જ્યારે એ પતરાળું ઉઠાવે છે તો બીજું પતરાળું પડ્યું હતું! નામદેવ મુસ્કુરાય છે. બાળક અને વૃદ્ધ માતાજી હેરાન છે કે આ શું વાત છે? એમને થયું કે એ પતરાળાં એક સાથે રહી ગયાં હશે. બીજું ઉઠાવ્યું અને બાજુમાં રાખ્યું તો ત્રીજું પડ્યું હતું!

એમ કરતાં-કરતાં અગિયારસો પતરાળાં નીકળ્યાં! અને વૃદ્ધ માતાજી રડી પડી કે બાબા, આ શું છે? તો નામદેવે કહ્યું કે, અગિયારસો માણસોને ભોજન કરાવવાનો તારો સંકલ્પ હતો ને? એક સદગુરુને ભોજન કરાવી દો, તમારો સંકલ્પ પૂરો. આવા પહોંચેલા સદગુરુને ભોજન કરાવવાથી કોણ જાણે કેટલાયે ભંડારા થઇ જાય છે! કોણ જાણે કેટલા લંગર લાગી જાય છે! કોણ જાણે કેટલી ચોરાસી થઇ જાય છે! કોણ જાણે કેટલાય પિતૃઓનું તર્પણ થઇ જાય છે! આવા ગુરુ હોય છે અદ્વિતીય. આવા ગુરુ હોય છે અજોડ

(સંકલન : નીિતન વડગામા)



Read full article at its source link.

No comments:

Post a Comment