Translate

Search This Blog

Sunday, October 4, 2015

કલિયુગમાં હરિકથા કલ્પતરુ સમાન છે, માનસદર્શન, મોરારિબાપુ

The article displayed below is reproduced with the courtesy of Divya Bhaskar daily.


કલિયુગમાં હરિકથા કલ્પતરુ સમાન છે

Read the article at its source link.


માણસે સુખદ પરિસ્થિતિ જોઇતી હોય તો કથા સાંભળે. કથા એટલે શું? જેને પોતાની ઇચ્છા પ્રમાણે કાંઇ પણ મેળવી લેવું હોય એના માટે કથા કલ્પતરુ છે

મારી દરેક માણસને એક વિનંતી રહી છે કે સમાજમાં જ્યાં શુભ દેખાય તેનો સ્વીકાર કરો. જ્યાંથી શુભ મળે એને લઇ લો. સ્વીકાર કર્યા પછી એ શુભને પ્રસાદ બનાવો. એ પ્રસાદને એકલા ન ખાવ. આજે સમાજમાં માણસ સાંકડો થઇ ગયો છે. હિન્દુધર્મમાં માનવાવાળો હિન્દુ વિચારધારાનું જ વિચારે છે. ઇસાઇઓ ઇસાઇનું જ વિચારે છે પણ મારી વ્યાસપીઠ મુક્ત છે. વ્યાસ ઉપરથી બધાને આદર અને નમન થાય છે.

હું ઘણીવાર કહ્યા કરું છું કે શુભનો સ્વીકાર કરવો એ મારી ભિક્ષાવૃત્તિ છે. અને બધામાં શુભ પડ્યું જ છે. આપણને લેતા આવડવું જોઇએ. રામચરિતમાનસમાં તુલસીદાસજી લખે છે. ‘મધુકર સરિસ સંત ગૂનગાહી’ ભમરાની જેમ દરેક ફૂલની ઉપર બેસીને રસ લઇ લે. હા એક વસ્તુ સ્પષ્ટ કહી છે કે ફૂલને નુકસાન ન થવંુ જોઇએ. અને આ વાત આપણે બધાએ શીખવા જેવી છે. મેં અગાઉ ઘણીવાર કથામાં કહ્યું છે કે મહાત્મા ગાંધીબાપુની બધી વાત સાથે હું સહમત થતો નથી.

એમાં કદાચ મારી અલ્પબુદ્ધિ હોય, અથવા મને વાત ન સમજાણી હોય. ગાંધીબાપુએ ક્યારેય આગ્રહ રાખ્યો નથી કે તમે બધી વાતનો સ્વીકાર કરો માટે જે અનુકૂળ હોય, જે ગમે એટલું લઇ લેવું અને સાઇ મકરંદ કહેતા કે ગમતાનો કરીએ ગુલાલ. બાબાસાહેબે બૌદ્ધધર્મનો સ્વીકાર કર્યો એ એનો અધિકાર એની સ્વતંત્રતા. આપણે કરેલી ભૂલોનો એ જવાબ હતો. સત્યને તો સ્વીકારવું જોઇએને. ‘સર્વ ખલ્વિદં બ્રહ્મ’ આ સૂત્રને ચરિતાર્થ કરવંુ પડશે. ભગવાન પરમતત્ત્વ એને જે નામ આપીએ તે. એનું એક સ્વાભાવિક લક્ષણ છે કે કોઇના તરફ ભેદ ન રાખો. કોઇના તરફ વેરવૃત્તિ ન રાખો. આટલી વસ્તુનો ખ્યાલ આવી જાય ત્યારે માણસ સહજ અને સરળ બની જાય છે પછી એ મસ્તક નહીં ચરણમાં નમતો રહે છે અને આપણે ત્યાં કહેવાય છે કે નમે એ સૌને ગમે. ચરણની વાત આવી છે ત્યારે થોડી એ સંદર્ભમાં ચર્ચા કરું છું. ચરણ કેવા છે? ચરણનાં ચાર લક્ષણો બતાવ્યાં છે. અહીં પ્રભુના ચરણની વાત છે. એમાં હરિત્વ સમાયેલું છે. તુલસી કહે છે કે

અસ પ્રભુ દીનબંધુ કારન રહિત દયાલ|
તુલસીદાસ સઠ તેહિ ભજુ છાડિ કપટ જંજાલ||

પ્રપંચ, કપટ અને ખોટી વિચારધારાની જંજાળ છોડીને એના ચરણસેવ. એ ચરણમાં પ્રભુત્વ છે. એ ચરણમાં દીનબંધુતા છે. હરિત્વ છે, કૃપાલત્ત્વ છે. કોઇપણ ચરણને સમર્થ માનજો. પ્રભુનો એક અર્થ સમર્થ થાય છે. પગ બરાબર ન હોય તો સમાજ વિકલાંગ કહેવાશે એમાં પ્રભુત્વ છે તેથી આપણી આખી સભ્યતા ચરણની વંદના ઉપર ભાર મૂકે છે. શ્રુતિથી લઇને સંત સુધીની બધાની માગણી છે કે ‘અમને દેજો સંતચરણમાં વાસ’ કારણ કે ચરણમાં સામર્થ્ય છે. બીજી વાત દીનબંધુત્વ છે. જે પતિત છે. જે તિરસ્કૃત છે. જે વંચિત છે. જે ઉપેક્ષિત છે એના તરફ એનું બંધુત્વ છે કોઇને તમે ભાઇ બનાવો અને બંધુ બનાવો એમાં ફર્ક છે. ભાઇ બહુ જ સરસ શબ્દ છે.

આપણા પારિવારિક જગતનો શબ્દ છે. આમ તો ભાઇ-ભાઇના નારા આપણે બહુ લગાડ્યા ને એમાં આપણે બહુ સહનેય કરવું પડ્યું. સમાજના દરેક વ્યક્તિને સાદ પાડીને કહી રહ્યો છું કે ભાઇપણું સાચવજો. ભાઇ-ભાઇ કોર્ટે ન જાય. ભાતૃત્વભાવ રામાયણનો એક સંદેશ છે. ત્રીજું હરિત્વ, હરિ એટલે આપણામાં પડેલી નિરર્થક વસ્તુનું હરણ કરી લે. જે ઉદ્ધાર કરવા માટે નીકળ્યો હોય, દૂષણોને હટાવે. પ્રભુ રામના ચરણનો આ મહિમા છે. અને કારણરહિત કૃપાલુ, કારણ વગર કૃપા કરે. કોઇ લેવા-દેવા ન હોય. ખબર જ હોય કે જેના ઉપર કૃપા કરો છો એ જ ક્યાંક હેરાન કરશે છતાંય કારણ વગર કૃપા કર્યા જ કરે. આ ચરણનો મહિમા છે માટે તુલસીદાસજી કહે છે તું એ ચરણને ભજ. બીજી કોઇ જગ્યાએ જવાની જરૂર નથી.

જીવનમાં સત્યને પકડો એટલે ચરણની સેવા સ્વયં થઇ જશે. સત્યનું આચરણ એ જ રામની સેવા છે. મારા અનુભવના આધારે કહેવું હોય તો એટલું જરૂર કહીશ કે માણસે સુખદ પરિસ્થિતિ જોઇતી હોય તો કથા સાંભળે. કથા એટલે શું? જેને પોતાની ઇચ્છા પ્રમાણે કાંઇ પણ મેળવી લેવું હોય એના માટે કથા કલ્પતરુ છે. કલિયુગમાં કોઇપણ હરિકથા કલ્પતરુ સમાન છે. હા એનું સેવન શ્રદ્ધાથી થવું જોઇએ. કથા માણસને, માણસના જીવનને જગાડે છે. સમાજમાં ઘણા એવા માણસો છે કે આજે પણ ઊંઘે છે. એવા ઊંઘતા માણસોને જગાડવા માટે રામકથા છે. આવો આપણે સાથે મળીને સર્વધર્મ સમભાવનું જીવન જીવતા શીખવીએ.
(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

મોરારિબાપુ
 rameshwardashariyani@gmail.com

No comments:

Post a Comment