Translate

Search This Blog

Sunday, November 23, 2014

યજ્ઞથી રોગ પણ મટાડી શકાય અને પર્યાવરણ પણ શુદ્ધ કરી શકાય

The article "યજ્ઞથી રોગ પણ મટાડી શકાય અને પર્યાવરણ પણ શુદ્ધ કરી શકાય" published in the Sunday Bhaskar by Shree Kishor Makwana is displayed here with their courtesy. 



બ્રુસ જ્હોનસન... ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં રાત્રે 11થી સવારે 3 વાગ્યા સુધી બિયર બારમાં સાજિંદા તરીકે નોકરી કરતા આ માણસના જીવનનો પ્રવાહ યજ્ઞથી પલટાઇ ગયો. બ્રુસ કહે છે, ‘ઓસ્ટ્રેલિયામાં દીવાનું કલ્ચર નથી, પણ અમારા ઘરમાં તો મારી પત્ની એની રોજ બે વાર ગાયનાં છાણાં અને ઘી નાખીને આગ પ્રગટાવતી. એમાં ચોખા હોમતી અને સંસ્કૃતમાં કંઇક મંત્રો બબડતી. મને કંઇ સમજાતું નહીં. હું ઘણીવાર કહેતો મહેરબાની કરીને આવાં ગતકડાં બંધ કર. એ કહેતી હું પ્રાચીન ભારતનો અગ્નિહોત્ર યજ્ઞ કરી રહી છું.’ આજથી 18 વર્ષ પહેલાં યજ્ઞના ઘોર વિરોધી બ્રુસ જ્હોનસન છેલ્લાં 17 વર્ષથી ઓસ્ટ્રેલિયા છોડીને આજે ઉત્તર મહારાષ્ટ્રના જલગાંવ અને ધૂળિયાની વચ્ચે એક નાનકડા ગામડામાં તપોવન આશ્રમ સ્થાપીને અગ્નિહોત્ર યજ્ઞ નિત્ય કરી રહ્યા છે. બ્રુસ કહે છે, ‘મને જૂનો અસ્થમા હતો. રાહત મેળવવા ઇન્હેલર સાથે રાખતો. ધુમાડો તો સહન થતો નહીં, છતાં અગ્નિહોત્રના ધુમાડાથી મને કેમ કોઇ તકલીફ થતી નથી તેનું અચરજ થતું. એક દિવસ કુતૂહલ ખાતર પત્ની એની સાથે મેં પણ અગ્નિહોત્ર યજ્ઞમાં ભાગ લીધો અને આહુતિ આપી, બસ ત્યારથી એનું વ્યસન થઇ ગયું. ચારેક મહિનમાં દમ, અસ્થમા લગભગ ગાયબ થઇ ગયો, ઇન્હેલર ફેંકી દીધું.’

બ્રુસ કહે છે કે, ‘આ યજ્ઞ અંધશ્રદ્ધા નહીં, પણ વિજ્ઞાન છે. એનાથી અનેક રોગ દૂર કરી શકાય છે, એટલું જ નહીં, પરંતુ પર્યાવરણ પણ શુદ્ધ થાય છે.’
આપણી પ્રાચીન ઋષિ સંસ્કૃતિએ આવી સમસ્યાઓના ઉન્મૂલન માટે વાતાવરણમાં વ્યાપ્ત આસુરી, ભૌતિક સશક્તતાને આધ્યાત્મિકતાની પ્રચંડ શક્તિથી નાથવાનો ઉપાય બતાવ્યો છે. તેમાં જે ઉપાયો તત્ત્વદર્શીઓએ નિર્દેશ્યા છે તેમાં ગાયત્રી યજ્ઞનું મહત્ત્વ સર્વોપરી છે. યજ્ઞ કે ગાયત્રી યજ્ઞથી સૂક્ષ્મ વાતાવરણનું પરિમાર્જન થવાથી તેમાં છુપાયેલાં આસુરી તત્ત્વોનો નાશ થાય છે.

અહીં એક વાત સ્પષ્ટ સમજી લેવાની છે કે આ યજ્ઞ પ્રક્રિયાને ત્યારે વૈજ્ઞાનિક સિદ્ધાંતોને આધારે જ વિકસાવાઇ હતી. તેમાં આધ્યાત્મિકતા અને વૈજ્ઞાનિકતાનો સમન્વય કરાયો હતો. કઇ રીતે? યજ્ઞ પ્રક્રિયામાં મંત્રવિજ્ઞાન, ધ્વનિવિજ્ઞાન સાથે વાયુ અને દ્રવ્યવિજ્ઞાન ઉપરાંત રસાયણ વિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતો સમાવાયા છે. આ સિદ્ધાંતો પર જ યજ્ઞવિજ્ઞાનને આપણા ઋષિઓએ વિકસાવ્યું છે. મંત્રોના શબ્દોનો પ્રવાહ તેના અસાધારણ પ્રભાવને પ્રસરાવે છે. યજ્ઞમાં આહુતિ દરમિયાન ઉચ્ચારાતા મંત્રોચ્ચારોનો ધ્વનિપ્રવાહ દૂર... દૂરના વાતાવરણને પરિષ્કૃત કરે છે. યજ્ઞના અગ્નિની પવિત્ર અગ્નિશીખાઓની શક્તિ વેદમંત્રોમાં સંમિલિત થઇને પોતાના પ્રભાવને વધારે છે. આમ, અંતે બધું મળીને યજ્ઞ એક એવો ઉપચાર બની જાય છે જેથી વાયુમંડલ અને વાતાવરણ બંનેની બેવડી શુદ્ધિ થઇ જાય, તેની સાથે જ ભૌતિક જગતની પ્રત્યક્ષ અને આત્મિક ક્ષેત્રની અદૃશ્ય સમસ્યાનું સમાધાન થાય છે.

યજ્ઞોમાંથી નીકળનારી દિવ્ય ઔષધિઓની ઊર્જા, અતિ સૂક્ષ્મ ઔષધિધૂમ્ર પોતાના પ્રભાવથી વાયુ પ્રદૂષણને નિવારવા સક્ષમ છે. કોઇ વળી કહેશે, ધુમાડો ગમે તે હોય પણ તે કાર્બનડાયોક્સાઇડ જ કાઢે. પ્રાણવાયુ જ નષ્ટ કરે, પણ આ સર્વથા સત્ય નથી. આવું કહેનારાઓને એનું ભાન નથી કે યજ્ઞની પવિત્ર ધૂમ્રસેરો કારખાનાની ચીમનીઓમાંથી ઓકાતા ધુમાડાઓ જેવી નથી હોતી. અહીં મૂળ વાત એ છે કે જે દ્રવ્યના જલનથી ધુમાડો નીકળે છે, એ દ્રવ્યનો વૈજ્ઞાનિક ગુણધર્મ શું છે? યજ્ઞમાં અગ્નિને પ્રગટાવવા માટે ન તો કોલસો વપરાય છે, ન કેરોસીન કે ન તો કોઇ ધાતુ. અરે, તેને પ્રગટાવવા માટે બાકસની પેટીને પણ ઉપયોગમાં નથી લેવાતી... યજ્ઞમાં અગ્નિ પ્રગટાવવા અને અગ્નિના પ્રજ્વલનને સતત જાળવી રાખવા અષ્ટ સમિધનો ઉપયોગ થાય છે. તેમાં ગાયના શુદ્ધ ઘીનો ઉપયોગ થાય છે. ગાયના છાણમાંથી બનેલા અડાયાં છાણાંનો ઉપયોગ થાય છે. લાકડાં પણ અમુક જ વૃક્ષોનાં વપરાય છે. તે ઉપરાંત અરણી, ધરો, ડાભડો, અઘેડો, સુગંધીવાળો જેવી ઔષધિઓ હવન (હવ્ય) સામગ્રી તરીકે વપરાય છે. આ પ્રત્યેક વનસ્પતિનો આગવો ગુણધર્મ છે. તેના જ્વલનથી વાયુમાં સુગંધ પ્રગટે છે. આવા યજ્ઞના અગ્નિને નિરંતર પ્રગટ રાખવા માટે જે વૈજ્ઞાનિક પદ્ધતિનો આધાર લેવાયો છે તેનાથી ઊર્જા નીકળે છે, ધુમાડો નહીં, સુગંધિત, પોષક, રોગનાશક ઔષધિઓ દ્વારા વિનિર્મિત યજ્ઞ ઊર્જા વાયુમંડળના વિપરીત પ્રભાવને નષ્ટ કરે છે.

દુર્ગંધગ્રસ્ત સ્થાનોમાં સુગંધી પદાર્થોનું જ્વલન કરીને તેનું પરિમાર્જન કરવામાં આવે છે... દુર્ગંધગ્રસ્ત વાતાવરણને શુદ્ધ કરવામાં આવે છે. તેની સૂક્ષ્મ વાતાવરણમાં ઘણી સારી અસર થાય છે. આપણે સારી અગરબત્તી, ધૂપ કરીએ છીએ અને વાતાવરણમાં જે સુગંધ પ્રસરે છે તેની અનુભૂતિ કેવી હોય છે? ગૂગળ, કપૂર આદિ પદાર્થોના ગુણ સર્વવિદિત છે. તેવા પદાર્થોનું રોગગ્રસ્ત સ્થળોમાં જ્વલન કરાય છે. ઘીના દીવામાં પણ આ જ વિશેષતા છે.
અહીં એક વાત સમજી લેવાની જરૂર છે કે નર્યા કર્મકાંડ અને જડતાથી, બાહ્યાડંબર અને શાસ્ત્રોમાં જેનો નિષેધ છે એવી પદ્ધતિથી થતા યજ્ઞો એ યજ્ઞનું આદર્શ સ્વરૂપ નથી. આજે યજ્ઞ પ્રક્રિયાને અપ્રસ્તુત બનાવી દેવાઇ છે, તેને મોંઘી અને અસુવિધાયુક્ત બનાવી દેવાઇ છે.

socialnetwork.kishormakwana@gmail.com


Read the article at its source link.


No comments:

Post a Comment