Translate

Search This Blog

Sunday, November 30, 2014

જે સ્વાભાવિક જીવન જીવે એનું નામ સ્વામી, માનસદર્શન, મોરારિબાપુ

The article is displayed here with the courtesy of Sunday Bahskar edition of Divya Bhaskar, a Gujarati daily.

જે સ્વાભાવિક જીવન જીવે એનું નામ સ્વામી

Source Link: http://www.divyabhaskar.co.in/news/MAG-manas-darshan-from-sunday-bhaskar-4822671-NOR.html

રામચરિતમાનસમાં ઘણાં બધાં પાત્રો માટે ગોસાંઇ શબ્દનો પ્રયોગ થયો છે. ગોસાંઇનો સીધોસાદો અર્થ સ્વામી થાય છે. શાસ્ત્રીય આધાર પર ‘પ્રભુ’, ‘નાથ’ એવા ઘણા બધા પર્યાય મળે છે. ભગવાન રામને પણ ગોસાંઇ કહ્યા છે. તુલસીદાસજી રામચરિતમાનસમાં લખે છે,
કરુનામય રઘુનાથ ગોસાંઇ!
બેગિ પાઇઅહી પીર પરાઇ!!
પ્રાનનાથ રઘુનાથ ગોસાંઇ !
જો બડ હોત સો રામ બડાઇ.
ભગવાન રામ કરુણામય સ્વામી છે. એમને બીજાની પીડા જલદી અનુભવાય છે. તુલસીદાસજી એ ચોપાઇમાં ‘બેગિ’ શબ્દ લગાવીને એમ કહેવા માગે છે કે સામેવાળાને પીડાની અસર થાય એ પહેલાં જ ઠાકુરને પીડા શરૂ થઇ જાય છે. ગુજરાતીમાં નરસિંહ મહેતાના પદમાં જે પંક્તિ આવી અને વિશ્વવંદ્ય ગાંધીબાપુએ પોતાની પ્રાર્થનામાં જે પદને સ્થાન આપ્યું. આજે એ વિશ્વપ્રસિદ્ધ છે. એમાં જે પંક્તિ છે,

વૈષ્ણવજન તો તેને રે કહીએ,
જે પીડ પરાઇ જાણે રે...

આનું ઉદગમસ્થાન તુલસીદાસ છે. જે બીજાની પીડા જાણે એ વૈષ્ણવજન છે. પરંતુ પરમાત્મા રામ તો એ છે કે બીજાને પીડા શરૂ થવાની હોય એ પહેલાં પોતાને પીડા શરૂ થઇ જાય છે. એવા ગોસાંઇનું દર્શન આપણે અાજે કરીશું. રામચરિતમાનસમાં  તુલસીદાસજીએ મારી સમજમાં છે ત્યાં સુધી તેર વ્યક્તિને ગોસાંઇ કહ્યા છે. જેમાં ભગવાન રામ, શિવ, મનુ-શતરૂપાની સામે ભગવાનનું જે સ્વરૂપ પ્રગટ થયું એ સ્વરૂપને ગોસાંઇ કહ્યા છે. આ ઉપરાંત ગણેશ, વિશ્વામિત્ર, વશિષ્ઠજી, પરશુરામજી, દશરથજી ચિત્રકુટ ગયા ત્યારે નગરનાં જે નરનારી છે એ ગોસાંઇ છે. ભારદ્વાજ, ભરતજી, ખગરાજ ગરુડ, પુરવાસી ભુશુંડિ આવી રીતે મારી સમજમાં તેર રત્નો ગોસાંઇના રૂપમાં સમજાયાં છે. આમ તો આપણે ત્યાં સમુદ્રમંથનમાંથી ચૌદ રત્નો નીકળ્યાં હતાં. હવે એક રત્ન ખૂટે છે. મારે સમુદ્રમંથનનું રૂપક બેસાડવું હોય તો અહીં ચૌદમું રત્ન લાવવું પડશે. એ વિષયમાં મારા મનમાં એક વાત આવી છે જે તુલસીદાસજી છે. આમેય આપણે એને ગોસાંઇ તો કહીએ જ છીએ. બીજી એક વાત કરી દઉં કે તમને બધાને એમ થશે કે આમાં કોઇ જગ્યાએ હનુમાનજીનું નામ ન આવ્યું. રામચરિતમાનસમાં હનુમાનજીને ગોસાંઇ કહ્યા નથી. પરંતુ હનુમાન
ચાલીસામાં કહ્યા છે.

જય જય જય હનુમાન ગોસાંઇ!
કૃપા કરો ગુરુ દેવ કી નાઇ!!

મારી મૂળ ચર્ચા હતી કે રામચરિતમાનસમાં સૌથી વધુ વખત ભગવાન રામ માટે ગોસાંઇ શબ્દનો પ્રયોગ થયો છે. હવે આ વિષયમાં આગળ વધીએ. ગુરુને આપણે સ્વામી માનીએ છીએ. કોઇ ગ્રંથને આપણે સ્વામી માનીએ છીએ પણ આપણે સંસારી જીવ છીએ, જાણ્યા વિના ભરોસો થતો નથી. આપણા જેવા માટે જ સૂત્ર-પાત થયો હશે કે થોડું જાણીને સ્વામી તરીકે સ્વીકારો. હવે પ્રશ્ન થાય કે સ્વામી કોને કહેવાય? ખાસ કરીને યુવાન ભાઇ-બહેનોને કહું કે કયા ઇષ્ટને આપણે સ્વામી કહીશું? કયા સદગુરુને આપણે સ્વામી કહીશું? એનો થોડો પરિચય મેળવીએ, થોડા સંકેતો સમજીએ.

આપણે કોઇના થઇએ પણ આપણી સ્વતંત્રતા ન છીનવે એ સ્વામી.
આપણું સ્વાતંય મિટાવી ન દે એને સ્વામી સમજવા. આપણે ભગવાન રામના થઇ જઇએ. પણ રામ આપણને બંધનમાં રાખશે નહીં. ખરેખર તો આપણા ગોસાંઇ ક્યારેય આપણું સ્વાતંય છીનવતા નથી. પરંપરાવાદી તો કહે છે કે અમે જેને માનીએ છીએ એને તમે પણ માનો. ઠીક છે ગુરુ પરંપરા સારી વાત છે. પરંતુ જીવની નીજતાનો વિચાર કરવો જોઇએ.

બીજાને સ્વાતંય દેતા જે પોતાની સ્વાધીનતાનું લિલામ ન કરે એ સ્વામી છે.
કલિયુગમાં પોતાની સ્વધીનતા જાળવી રાખવી એ પણ સ્વામીપણું છે. બાકી તો કોઇ પૈસાદાર માણસ હોય અને બહુ દાન દેતા હોય એના આધીન ગુરુને થઇ જવું પડે છે. પ્રેમવશતાની આખી વાત જુદી છે. જેમને
સ્વાતંય આપે એમને જાણ પણ થાય કે આ માણસને ખરીદી શકાય નહીં. સ્વાધીન હોય એ સ્વામીનું લક્ષણ છે.

આશ્રિતને
સ્વાતંય આપે અને આશ્રિતની વિશેષ યોગ્યતાને આધીન ન થઇ જાય, બાકી તો ધર્મ પણ પરાધીન થવા લાગે છે. ભગવાન કૃષ્ણ દોરીથી બંધાઇ જાય છે પરંતુ એ પરાધીનતા નથી એ લીલાનો એક ભાગ છે. તુલસીદાસજી કહે છે જીવ માયાને આધીન હોય છે. ટૂંકમાં આશ્રિતને
સ્વાતંય આપે એ સ્વામી છે.

પોતાનું કામ પોતે જ કરી લે એ સ્વામી છે.
આ લક્ષણ જો ન હોય તો સ્વામીપણું ક્યારેક ને ક્યારેક ખંડિત થઇ શકે છે. બીજાના પર આશ્રિત રહેવું ત્યારે સમજવું કે સ્વામીપણું ખંડિત છે. સેવાની ભાવનાથી કાર્ય કરીએ અથવા કરાવીએ એ વાત
જુદી છે.

સ્વાભાવિક હોય એ સ્વામી છે.
રહેણીકરણીમાં ક્યારેય કૃત્રિમતા ન લાગે, બિલકુલ સહજ હોય એ સ્વામી છે. રામચરિતમાનસમાં તુલસીદાસજી લખે છે,
મન મુસુકાઇ ભાનુકુલભાન
રામુ સહજ આનંદ નિધાન
સ્વાભાવિકતાનો બહુ મોટો દુશ્મન દંભ છે. દંભ વ્યક્તિને સ્વાભાવિક રહેવા દેતો નથી. ભગવાન રામની સ્વાભાવિકતા જુઓ.
ઉઠે રામુ સુનિ પ્રેમ અીરા!
કહુ પટ કહુ નિષંગ ધનુ તીરા!!
ભગવાન રામ બધા સાથે સહજ રહ્યા છે.
સંબંધમાં સ્વાર્થ ન રાખે એ સ્વામી છે.
સ્વાર્થમુક્ત થઇને આપણું બધું જ કાર્ય કરી દે એ સ્વામી છે. સ્વામી રામસુખ મહારાજ કહ્યા કરતા કે સાધુ તમારું કંઇક ખાય તો પોતાની માટે ખાતા નથી, તમે રાજી રહો એટલે એ ખાય છે. આપણી સાથે સંબંધ રાખે પણ સંબંધમાં કોઇ સ્વાર્થ ન હોય એ સ્વામી છે.
વર્ણભેદ, વર્ગભેદ, જાતિભેદ, ધર્મભેદ ન રાખે અને બધાનું સ્વાગત કરે એ સ્વામી છે.

સમાજમાં દરેકનું સ્વાગત કરે, નાનામાં નાના માણસને પ્રેમથી સ્વીકારે એ સ્વામી છે. તુલસીદાસજીએ ભગવાન રામના દરબાર વિશે કહ્યું હતું કે મહારાજ આપનો દરબાર બહુ જ પાવન છે. પરંતુ જ્યાં સુધી એક પતિતનો સ્વીકાર કરશો નહીં ત્યાં સુધી આપનો દરબાર અધૂરો છે. યુવાન ભાઇ-બહેનો હું આપને કહી દઉં કે દેશકાળ બદલી ચૂક્યો છે. સૌનો પ્રેમથી સ્વીકાર કરો. ઘણી વખત કહ્યા કરું છું કે હું કોઇને સમજાવવા માટે નીકળ્યો નથી. હું બધાનો સ્વીકાર કરવા માટે નીકળ્યો છું. વ્યાસનો અર્થ જ વિશાળતા થાય છે. જેની પાસે રહેવાથી સ્વર્ગિક સુખનો અનુભવ થાય એનું નામ સ્વામી છે.

જેની પાસે બેસવાથી સ્વર્ગનો અનુભવ થાય. આપણા ચિત્તમાં હરિનો અનુભવ થાય એ આપણા માટે સ્વામી છે. સમાજમાં ઘણા એવા લોકો છે કે જે આપણી પાસે બેઠા હોય તો એવું લાગે કે આ જાય તો સારું. જ્યારે ઘણા માટે આપણને બેસવાની ઇચ્છા થાય પણ મારું તો કામ છે નિંદાનો પણ સ્વીકાર, સ્તુતિનો પણ સ્વીકાર, હારનો પણ સ્વીકાર અને પરાજયનો પણ સ્વીકાર, છેલ્લે ભગવાનને પ્રાર્થના કરું કે આ બધાં જ સૂત્રો આપણે બરાબર સમજીએ અને જીવનમાં ઉતારીએ તો મને એમ લાગે છે કે આપણું જીવન ધન્ય બની જશે પાવન બની જશે.
જય સીયારામ!                (સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)
rameshwardashariyani@gmail.com

No comments:

Post a Comment