Translate

Search This Blog

Tuesday, December 2, 2014

ગીતા જયંતી, ભગવદ્ ગીતા, મોક્ષદા એકાદશી

આજે મંગળવાર, વિક્રમ સંવત ૨૦૭૧, માગશર સુદ ૧૧, તારીખ ૦૨-૧૨-૨૦૧૪ છે જે ગીતા જયંતી છે. 

વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગનાં વર્ષનાં દ્વિતીય માસ માગશરની સુદ અગિયારસને મોક્ષદા એકાદશી કહેવાય છે. જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, તેવી પુરાણોમાં પણ કથા વાંચવા મળે છે. જેથી દરેકે આ વ્રત કરવુ જોઈએ. આજ દિવસે કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ કીધો હતો, માટે આ દિવસને ગીતા જયંતી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગીતાનાં બધા શ્લોક વાંચનાર અને સાંભળનારનો મોક્ષ નિશ્ચિત માંનવામાં આવે છે, માટે આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે.

The following article is displayed here with the courtesy of Divya Bhaskar and its writer Shree Suresh Prajapati.

ભગવદ્ ગીતા એક અતુલ્ય ગ્રંથ
Geeta Jayanti, Suresh Prajapati


દુનિયામાં આ એક જ ગ્રંથ એવો છે કે જેની જન્મજયંતી ઊજવાય છે. દુનિયાની એકેય ભાષા બાકી રહી નથી કે જેમાં આ મહાગ્રંથનો અનુવાદ ન થયો હોય. શ્રીમદ્ ભગવદ્ ગીતા, સનાતન હિન્દુધર્મનો આ ધર્મગ્રંથ વૈદિક ધર્મશાસ્ત્રમાં સૌથી જાણીતું શાસ્ત્ર છે. માગશર સુદ એકાદશી આ અતુલ્ય ગ્રંથની જન્મજયંતી તરીકે ઊજવાય છે. દુનિયામાં આ એક જ ગ્રંથ એવો છે કે જેની જન્મજયંતી ઊજવાય છે. દુનિયાની એકેય ભાષા બાકી રહી નથી કે જેમાં આ મહાગ્રંથનો અનુવાદ ન થયો હોય. આ વસ્તુ જ આ ગ્રંથની શ્રેષ્ઠતા સાબિત કરે છે જે આપણા માટે ગર્વની વાત છે. સ્વાભાવિકપણે એવો પ્રશ્ન થાય કે આ અતુલ્ય ગ્રંથમાં એવું તે શું ભર્યું છે કે આખી દુનિયાને તેનું આકર્ષણ છે. ગીતા જયંતી પર્વ નિમિત્તે તેની વાત કરતાં પહેલાં આ ગ્રંથનું જ્ઞાન જેમની જીભ પરથી વહેતું થયેલું તે મહાપુરુષ વિશે થોડી વાત કરી લઇએ. આ મહાપુરુષ એટલે શ્રીકૃષ્ણ. એક કળી ન શકાય એવું અકળ વિરાટ વ્યક્તિત્વ. જગતમાં આ એક જ મહાપુરુષ એવા છે કે જેમના વિશે લખાયું છે વધુમાં વધુ, પરંતુ દુ:ખની વાત એ છે કે શ્રીકૃષ્ણને સમજી શક્યા ખૂબ જ ઓછા લોકો. શ્રીકૃષ્ણ વિશે ઘણું ઘસાતું લખાયું છે તો પણ તેની સામે ઘણુંય અતિ ઉત્તમ અને ગર્વપૂર્ણ પણ લખાયું છે. ભગવદ્ ગીતા સમજતાં પહેલાં શ્રીકૃષ્ણને સમજવા ખૂબ જ જરૂરી છે, કારણ કે શ્રીકૃષ્ણ જ ભગવદ્ ગીતાના જન્મદાતા છે. મૂળમાં જોઇએ તો ભગવદ્ ગીતા મહાભારતનો જ એક ઉપખંડ છે. મહાભારતના ભીષ્મપર્વના અધ્યાય ૨૩થી ૪૦માં કુલ ૭૦૦ શ્લોકમાં આ ગ્રંથ રચાયો છે. મહર્ષિ વ્યાસે આ શ્લોકને અલગ તારવી ભગવદ્ ગીતાએવું નામ આપ્યું, જે જગ મશહૂર થઇ ગયું અને જગત પર તેનો ઊંડો પ્રભાવ પણ પડ્યો. મહાભારતના ઘટનાક્રમમાં જેટલાં પાત્રો છે તે દરેક પાત્રને પોતાના કર્તવ્યની ભૂમિકા વિશે ક્યાંય ને ક્યાંક થોડો ઘણો વિષાદ થયેલો છે. આ પાત્રોમાંનું એક પાત્ર છે અર્જુન. કુરુક્ષેત્રની ધર્મભૂમિ પર યુદ્ધ માટે સામસામે ગોઠવાયેલી બે મહાસેનામાં પોતાના જ સગાંવહાલાંઓને જોઇ અર્જુનના મનમાં વિષાદ જન્મ્યો. તરત જ તેણે શસ્ત્રો નીચે મૂકી શ્રીકૃષ્ણ સન્મુખ જાહેર કર્યું, - ‘હે કૃષ્ણ! યુદ્ધમાં સગાંસ્નેહીઓને હણીને કંઇ શ્રેય થાય એમ મને નથી લાગતું. તેમને હણીને હું વિજય, રાજ્ય અને સુખ મેળવવા નથી ઇચ્છતો.મહાભારતનાં જે જે પાત્રોને વિષાદ થયો છે તેમાંથી અર્જુનનો આ વિષાદ સૌથી ભિન્ન અને વિડંબનાઓથી ભરેલો છે. કારણ કે આ વિષાદને શ્રીકૃષ્ણનો સંસ્પર્શ થયેલો છે. આમાંથી જ શ્રીકૃષ્ણ મુખેથી ભગવદ્ ગીતાનો જન્મ થયો છે. વિષાદયુકત અર્જુનને સ્વધર્મમાં સ્થાપિત કરવા માટે જે પ્રબોધ જ્ઞાન શ્રીકૃષ્ણના મુખેથી વહેતું થયું તે જ ભગવદ્ ગીતા. ગીતાનો એક સાદો અર્થ ગવાયેલુંએવો થાય છે. ગીતામાં ઉપનિષદનો અધ્યાહાર છે એટલે ગવાયેલી ઉપનિષદ એવો પણ એક અર્થ નીકળે. ઉપનિષદ એટલે જ્ઞાનબોધ. કુરુક્ષેત્રની ધર્મભૂમિ પર આ જ્ઞાનબોધ એક સંવાદના રૂપમાં થયેલો છે. બોલવું અતિ સહેલું છે જ્યારે વાતચીત કરવી થોડી અઘરી છે, પરંતુ સંવાદ કરવો એ તો અતિ અઘરો છે. અહીં અર્જુન અને તેના સારથિ શ્રીકૃષ્ણ વચ્ચે થયેલો દુર્લભ અને દિવ્ય સંવાદ છે. આ સંવાદમાં જ્ઞાન, કર્મ, શ્રદ્ધા, સંયમ અને દેશકાળને લગતી તમામે તમામ સમસ્યાઓને ઉકેલવાની ગુરુચાવી છે. આ ઉપરાંત ભગવદ્ ગીતામાં પ્રકૃતિ, કાળ અને કર્મની પણ ચર્ચા છે. ઇશ્વર શું છે? જીવો કોણ છે? પ્રકૃતિ શું છે? ર્દશ્ય સૃષ્ટિ શું છે? કાળ તેને કેવી રીતે નિયંત્રિત કરે છે? જીવોનાં કર્મો શું છે? કર્મના બંધનમાં જીવ કેવી રીતે બંધાય છે અને કઇ રીતે બહાર નીકળી શકે છે તેનું સંપૂર્ણ જ્ઞાન શ્રીકૃષ્ણ ભગવદ ્ગીતામાં અર્જુનના માધ્યમથી આપણને આપે છે. શ્રીકૃષ્ણનો આ ઉપદેશ કોઇ આજ્ઞા નથી. એટલે જ તે અર્જુનને અંતમાં કહે છે, મારે જે કંઇ કહેવું હતું તે કહી દીધું, ‘તને હવે જે યોગ્ય લાગે તેમ કર! સમજણ વગરનું અનુસરણ તથા સ્વધર્મ અને સમજણ આ તત્વો વગરનું મનુષ્યજીવન શ્રીકૃષ્ણને સ્વીકાર્ય નથી. ઉપદેશનું આચરણ સમજપૂર્વક થવું જ જોઇએ એવો સંકેત શ્રીકૃષ્ણે ભગવદ્ ગીતા દ્વારા જગતને આપ્યો. પૂ. ગાંધીબાપુને ગીતાના આ ઉપદેશમાં અહિંસાનાં દર્શન થયા હતા. લોકમાન્ય તિલકને જગતની તમામ સમસ્યાઓનો ઉકેલ ભગવદ્ ગીતામાં દેખાયો હતો. પૂ. વિનોબાજી ગીતાને મોહનિરાકરણ ગ્રંથતરીકે ઓળખાવે છે. તે આજના સંદર્ભમાં અર્થસભર છે. ઓશો રજનીશજી ભગવદ્ ગીતાને સ્વધર્મ સમજવાની ચાવી તરીકે ગણે છે. શ્રીકૃષ્ણે ગીતામાં જે વાત પર વધુ ભાર મૂક્યો છે તે સ્વધર્મ અને તેમાં સમજપૂર્વક પ્રવૃત્ત થવામાં જ મૂક્યો છે. આ બે તત્વો આપણે પામી શકીએ તો જીવનના ઘણાખરા પ્રશ્નો સરળતાથી હલ થઇ જાય. કારણ કે આ બે તત્વો સાથે તેનું વ્યવહારુ મૂલ્ય પણ રહેલું છે. ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણે આ વહેવારુ મૂલ્યને સમજવાની જ વિસ્તૃતપૂર્વક વાત કરી છે. ભગવદ્ ગીતાનાં દર્શન વિશે જેટલું પણ લખાય તેટલું પણ ઘણું ઓછું છે. ગીતાનું આકર્ષણ આવનારી પેઢીઓ પર પણ સદીઓ સુધી રહેવાનું જ. આ અનુપમ ગ્રંથ કોઇ એક સંપ્રદાયનો ગ્રંથ નથી પરંતુ તેને એક બિનસાંપ્રદાયિક ગ્રંથ કહેવો વધુ સુયોગ્ય છે. આવો જીવનવ્યવહારુ મૂલ્યોનો અદભૂત ગ્રંથ આપવા બદલ આપણે સૌ મહર્ષિ વેદવ્યાસના ઋણી છીએ. તેમનું આ ઋણ આપણે ત્યારે જ ચૂકવી શકીશું કે જ્યારે આ અદભૂત ગ્રંથને આપણે આચરણમાં મૂકી આપણાં નૈતિક મૂલ્યોને ઊંચાઇએ લઇ જઇશું. શ્રીકૃષ્ણના શ્રીમુખે કહેવાયેલું આ અદભૂત જ્ઞાન આપણા જીવનવ્યવહારમાં ઊતરે એવી સદ્ભાવના સહ જય શ્રીકૃષ્ણ! ગીતા જયંતી, સુરેશ પ્રજાપતિ




દિલ્હીમાં ભગવદ્દ ગીતાની ૫૧૫૧મી વર્ષગાંઠની ઉજવણી
October 16, 2014 at 1:26 pm


ભગવદ્દ ગીતાની ૫૧૫૧મી વર્ષગાંઠનો ઉજવણી સમારંભ લાલ કિલ્લા ખાતે યોજાઈ રહ્યો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સંઘના ટોચના નેતાઓ હાજરી આપે તેવી શકયતા છે. આરએસએસે ગીતા જયંતીની ઉજવણી કરવા માટે ૬ દિવસનો કાર્યક્રમ બનાવ્યો છે.

આ કાર્યક્રમમાં દેશ-વિદેશના બધા ધર્મ અને બધી જાતિના પ્રતિનિધિ ભાગ લેશે. આ ઈવેન્ટનું આયોજન ગ્લોબલ ઈન્સ્પીરેશન એન્ડ એનલાઈટમેન્ટ ઓર્ગેનાઈઝેશન ઓફ ગીતા (ત્રીએઓગીતા) દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સંસ્થા સંઘ સાથે જોડાયેલ છે. ઉજવણી બીજી ડિસેમ્બરથી ૭મી ડિસેમ્બર સુધી ચાલશે જેના સમાપન સમારંભમાં મોદી હાજરી આપે તેવી શકયતા સૂત્રોએ વ્યકત કરી છે.

ભગવદ્દ ગીતા એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રિય પુસ્તક
ભગવદ્દ ગીતા એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રિય પુસ્તક છે. વડાપ્રધાને પોતાની વિદેશ યાત્રામાં અને ભારત આવનાર પોતાના કાઉન્ટર પાર્ટ્સને પણ ભેટમાં ભગવદ્દ ગીતા આપી છે. શિક્ષક દિવસ પર કેટલાક વિદ્યાર્થીઓને પણ વડાપ્રધાન તરફથી ભગવદ્દ ગીતાની ભેટ આપવામાં આવી છે.

કળયુગ પહેલા લખાઈ હતી ભગવદ્દ ગીતા
સંઘના નેતા ઇન્દ્રેશ કુમારે જણાવ્યું છે કે માર્ઘશીર્ષની રચના શુક્લા પક્ષ એકાદશી ૨ ડિસેમ્બરે થઇ રહી છે અને આ દિવસે ગીતા જયંતી પણ છે. એટલે કે ત્યારે ગીતાના ૫૧૫૧ વર્ષ પુરા થશે. સંઘના નેતાએ કહ્યું છે કે કેલેન્ડર પ્રમાણે આ કળયુગનું ૫૧૧૬ મુ વર્ષ ચાલે છે અને ગીતા તેનાથી ૩૫ વર્ષ પહેલા લખાઈ ગઈ હતી. તેમણે વધુમાં જણાવ્યું કે પહેલી વખત ભગવદ્દ ગીતા પર આટલો મોટો કાર્યક્રમ કરવામાં આવશે. ગ્લોબલ ઈન્સ્પીરેશન એન્ડ એનલાઈટમેન્ટ ઓર્ગેનાઈઝેશન ઓફ ગીતા (ત્રીએઓગીતા) સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. અને ઇન્દ્રેશ કુમાર આ સંસ્થાના સંરક્ષક છે.

રાજનાથસિંહ અને સુષ્માસ્વરાજ આ કાર્યક્રમમાં હાજરી આપવા સહમત
લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન અને કેન્દ્રીય પ્રધાનો રાજનાથસિંહ અને સુષ્માસ્વરાજ આ કાર્યક્રમમાં હાજરી આપવા સહમત થયા છે જયારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ અને વડાપ્રધાન સાથે હાજરી આપવા બાબતે ચર્ચા ચાલી રહી છે તેમ ગીએઓ ગીતાના જનરલ સેક્રેટરી કેશવ ગુપ્તાએ જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં દેશભરના ધાર્મિક નેતાઓ ગીતા પર પ્રવચન આપશે

છ દિવસના આ કાર્યક્રમમાં દેશભરના ધાર્મિક નેતાઓ ગીતા પર પ્રવચન આપશે. સાર્ક દેશોના પ્રતિનિધિઓ ઉપરાંત વિશ્ર્વના કેટલાંક ધાર્મિક નેતાઓએ પણ હાજરી આપવા સહમતિ આપી છે. બીજી ડિસેમ્બરે ગીતા જયંતિના ઉપલક્ષ્યમાં કેન્દ્ર સરકાર ટપાલ ટિકીટ પણ જારી કરશે.


Read More about "જોડિયામાં પૂ. મોરારીબાપુનીઉપસ્‍થિતિમાં ગીતા જયંતિ મહોત્‍સવ"




The below mentioned article is displayed here with the courtesy of  "નવગુજરાત સમય". 

મેનેજમેન્ટથી મોક્ષ સુધીની ગતિ અપાવતો ગ્રંથ

Source Link: http://navgujaratsamay.indiatimes.com/ahmedabad/ahmedabad-other-news/-/articleshow/45339831.cms#gads


ડો. પ્રણવ દવે > અમદાવાદ

તા.૨ ડિસેમ્બરનાં રોજ માગશર સુદ એકાદશી છે, જેને મોક્ષદા એકાદશી તો કહે છે પરંતુ સમગ્ર વિશ્વમાં ભારતીય તત્વજ્ઞાનનો પ્રચલિત ગ્રંથ છે તેની જયંતી અને એ છે શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતી. ગીતાનું પઠન માત્ર કર્મકાંડ સમયે અથવા તત્વજ્ઞાન માટે નથી પરંતુ તે મેનેજમેન્ટ ક્ષેત્રમાં પણ ઉપયોગી છે. એટલે કે મેનેજમેન્ટથી મોક્ષ સુધીની ગતિ અપાવે છે. જ્યારે વિશ્વની ૩૫થી વધુ ભાષામાં તેનો અનુવાદ થયો છે.

આ અંગે ધર્મોપદેશક પૂ.ભૂપેન્દ્રભાઇ પંડ્યાએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિની વિશેષતા ગણો કે વિશ્વમાં જુદા-જુદા નવા-નવા 'ડે'ની ઉજવણી કરવામાં આવે છે પરંતુ ભારતીય પરંપરામાં કોઇ ગ્રંથની ઉજવણી થતી હોય તે જ એક આગવી વિશેષતા છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનાં ૧૮ અધ્યાયમાં માત્ર ૭૦૦ શ્લોકો નથી પરંતુ જીવન જીવવાની ચાવીઓ ભગવાન શ્રીકૃષ્ણે માત્ર હિંદુઓને જ નહીં પરંતુ માનવજાતને આપી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા એ જાતિ, ધર્મ કે માન્યતાના સીમાડાઓની પારનો ગ્રંથ છે અને તેને જ કારણે વિશ્વની કોઇ વ્યક્તિને બીજા કોઇ ભારતીય ગ્રંથનું કદાચ નામ આવડતું હોય કે ન આવડતું હોય પરંતુ શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશ્વભરમાં પ્રચલિત છે. ઉપરાંત, તેમાં જીવન વિકાસ માટેની સાત્વિક આશાઓ પણ છે.

મેનેજમેન્ટ અને ગીતા અંગે તેમણે જણાવ્યું કે મેનેજમેન્ટનાં મુખ્યત્વે ચાર સ્તંભો છે. ૧. લક્ષ્ય, ૨. પ્રેરણા, ૩. સંગઠન અને ૪. પ્રગતિ. ગીતા આ ચારેય સ્તંભ ઉપર કહે છે કે લક્ષ્ય આભાસી કે દેખાદેખીથી સર્જેલું ન હોવું જોઇએ પરંતુ વાસ્તવિક હોવું જોઇએ. એમાં વ્યક્તિની પોતાની સામર્થ્ય અને મર્યાદાનો સંપૂર્ણ વિચાર થયો હોવો જોઇએ. પ્રેરણા એટલે કે તે અંગત ન હોવી જોઇએ, તેનું ચાલક બળ જો સામાજિક કે રાષ્ટ્રીય કે વૈશ્વિક હશે તો જ તે સંગઠન ઊભું કરી શકશે. આવું ઉર્ધ્વગામી સંગઠન તમને લક્ષ્ય પ્રાપ્ત કરાવીને પ્રગતિ સાધી શકે છે.

'ગીતાની ત્રણ વાત સમજો તો જીવન ઉત્સવ બને'
પૂ.ભૂપેન્દ્રભાઇ પંડ્યાએ જણાવ્યું કે સમગ્ર શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ત્રણ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેને જો સમજી લેવામાં આવે તો જીવન સનાતન ઉત્સવ બની શકે. ૧. વાસ્તવિકતાનો સ્વીકાર કરો, ૨. સાત્વિક પુરુષાર્થમાં ક્યારેય પીછેહઠ ન કરો, ૩. ઇશ્વર પર શ્રદ્ધા રાખીને જે પરિણામ આવે તેને પ્રસન્નતાપૂર્વક આવકારો.

સ્ટ્રેસ નિવારણ માટે શ્રદ્ધારૂપી ભૂમિ જરૂરી

ભૂપેન્દ્રભાઈએ કહ્યું કે ગીતામાં તણાવ દૂર કરવા માટેનું ચિંતન પણ રજૂ થયેલું છે. ભગવાને અર્જુનને સ્થિતપ્રજ્ઞનું વર્ણન કરતાં કહ્યું છે કે જે આત્માથી પોતાનામાં સંતુષ્ટ રહે છે, તેની બુદ્ધિ સ્થિર થાય છે. આજની યુવાપેઢી પાસે ઉડવા માટે અપેક્ષારૂપી આકાશ છે પરંતુ જ્યારે તે આધાર તરીકે શ્રદ્ધારૂપી ભૂમિ ગુમાવી દે તો ક્યારેક આકાશથી નીચે આવે ત્યારે પટકાવાનો વારો આવે અને ભૂમિ પણ રહેતી નથી. માટે જીવનમાં શ્રદ્ધારૂપી ભૂમિ જરૂરી છે. નિષ્કામ કર્મયોગ અનુસાર જીવનમાં ઉચ્ચ ધ્યેય રાખો, એની પ્રાપ્તિ માટે પ્રામાણિક પ્રયત્ન કરો અને પરિણામ પરમાત્મા ઉપર છોડી દો.

No comments:

Post a Comment