Translate

Search This Blog

Tuesday, March 3, 2015

અનન્ય ભક્ત રામકૃષ્ણની પ્રાર્થના

Courtesy : Divya Bhaskar


અનન્ય ભક્ત રામકૃષ્ણની પ્રાર્થના

Read the article at its source link.

‘જે રામ, જે કૃષ્ણ તે જ અત્યારે શ્રીરામકૃષ્ણ’. દક્ષિણેશ્વરના પરમહંસ રામકૃષ્ણ ઠાકુરના સ્વમુખે બોલાયેલા આ શબ્દો તેમની ઓળખ માટે પૂરતા છે. લૌકિક અર્થમાં નિરક્ષર પરંતુ પરમ જ્ઞાની અને અનન્ય ભક્ત એવા ઠાકુરની જન્મજયંતી નિમિત્તે તેમણે મા કાલીને કરેલી પ્રાર્થના અને પ્રાર્થના વિશે તેમણે આપેલ ઉપદેશમાંથી પ્રેરણા પામીશું.

શું ભગવાનને પ્રાર્થના જોરથી કરવી જોઇએ? એવા પ્રશ્નના ઉત્તરરૂપે ઠાકુરે કહ્યું હતું, ‘કોઇપણ રીતે પ્રાર્થના કરો. એ કીડીના પગનો અવાજ પણ સાંભળી શકે છે. ‘શું ખરેખર ભગવાન પ્રાર્થના સાંભળે છે?’ એવી જિજ્ઞાસાના સંદર્ભમાં ઠાકુરે કહ્યું હતું,‘હા, મન અને મુખ એક કરીને કોઇ વસ્તુ માટે વ્યાકુળ થઇને પ્રાર્થના કરવામાં આવે તો તે પ્રાર્થના સફળ થાય છે. પરંતુ જે મોંથી કહે, ‘હે પ્રભુ, સર્વ કાંઇ તમારું છે.’ પરંતુ મનમાં વિચારે કે ‘આ બધું જ મારું છે.’ એવી પ્રાર્થનાનું કોઇ ફળ મળતું નથી. સરળ આંતરિક ભાવથી જો પ્રાર્થના કરવામાં આવે તો એ અવશ્ય સાંભળે છે. તમે બોલો કે ‘ઇશ્વર મારું સર્વસ્વ છે.’ પરંતુ મનથી સંસારને સર્વસ્વ માનો તો તેનાથી કોઇ જ લાભ થશે નહીં.

‘પ્રાર્થના કેવી રીતે કરવી જોઇએ?’ એની સમજૂતી આપતાં ઠાકુરે કહ્યું હતું, ‘સંસારની વસ્તુઓ માટે પ્રાર્થના ન કરવી જોઇએ.’ નારદમુનિનું ઉદાહરણ આપતાં ઠાકુરે કહ્યું હતું, ‘નારદની જેમ પ્રાર્થના કરવી જોઇએ. નારદજીએ ભગવાન શ્રીરામચંદ્રને કહ્યું હતું, ‘હે રામ! એ જ કરો કે જેથી તમારા ચરણકમળમાં શુદ્ધ ભક્તિ રહે.’ શ્રી રામચંદ્રજીએ નારદજીને વરદાન માંગવા કહ્યું ત્યારે નારદે કહ્યું, ‘તમારી ભુવનમોહિની માયામાં મુગ્ધ ન થાઉં.’ અહીં શ્રીરમણ મહર્ષિએ કહેલી વાત નોંધવા જેવી છે. તેઓએ કહ્યું છે કે માણસ શરૂઅાતમાં દુન્યવી વસ્તુઓ માટે ઇશ્વરને પ્રાર્થના કરે છે પછી ધીમે ધીમે એક સમય એવો આવે છે કે તે ભગવાન માટે જ ભગવાનને પ્રાર્થના કરે છે.

ઠાકુર શ્રીરામકૃષ્ણે કહ્યું છે કે, જો તમે નિશ્ચિત ન કરી શકો કે ભગવાન સાકાર છે કે નિરાકાર? તો ભગવાનને આ રીતે પ્રાર્થના કરો, ‘હે ભગવાન, તમે સાકાર છો કે નિરાકાર હું સમજી શકતો નથી. તમે જ હો તે મારા પર કૃપા કરો અને મને દર્શન આપો.’

આલ્ડસ હકસલી જેને ‘Unique in the literature of hagiography’ સંતજીવન સાહિત્યમાં અજોડ ગ્રંથ તરીકે બિરદાવ્યો છે એવા ઉત્તમ આધ્યાત્મિક ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં મહાશય-મહેન્દ્રનાથ ગુપ્તે અવાર-નવાર શ્રીરામકૃષ્ણે મા કાલીને-ઇશ્વરને કરેલી પ્રાર્થનાની નોંધ કરી છે. જેમાંની એક પ્રાર્થના અહીં રજૂ કરી છે.

‘તું હિ તું હિ’
‘મા, હું યંત્ર, તમે યંત્ર ચલાવનાર, હંુ ઘર તમે ઘરના માલિક,
હું રથ તમે રથ હાંકનાર, તમે જેમ કરાવો તેમ કરું, તમે જેમ બોલાવો તેમ બોલું, તમે જેમ ચલાવો તેમ ચાલું,
નાહં, નાહં, તું હિ તું હિ, તેમનો જ જય, હું તો માત્ર યંત્ર જેવો!’
એકવાર ઠાકુરે રાધિકાજીના એક પ્રસંગની વાત કરતા કહ્યું હતું, ‘શ્રીમતી રાધિકા જ્યારે સહસ્રધારા ઝારી લઇને જઇ રહી હતી, ત્યારે જળ જરાયે ઢોળાયું નહોતું. તેથી સૌ તેની પ્રશંસા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આવી સતી થવાની જ નથી ત્યારે શ્રીમતીએ કહ્યું, ‘તમે મારી જય શું કરવા બોલો છો? કહો કે કૃષ્ણની જય! કૃષ્ણની જય! હું તો તેમની દાસી માત્ર.’ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે, ‘આ મારી ત્રણ ગુણવાળી દૈવી એટલે કે અદભુત માયા તરવી મુશ્કેલ છે. પણ જેઓ મારું જ શરણ લે છે તેઓ તે માયાને તરી જાય છે. ઠાકુરના શબ્દો હતા. ‘મા હું તમારો શરણાગત!’

No comments:

Post a Comment