Translate

Search This Blog

Wednesday, May 4, 2011

રામ કથા - માનસ ગૌરી

રામ કથા

માનસ ગૌરી

શ્રી દેવી તાલાબ મંદિર

જાલંધર (પંજાબ)

તારીખ ૩૧-૦૫-૨૦૦૩ થી તારીખ ૦૮-૦૬-૨૦૦૩

સર સમીપ ગિરિજા ગ્રહ સોહા l

બરનિ ન જાઈ દેખિ મનુ મોહા ll

મજ્જ્નુ કરિ સર સખિન્હ સમેતા l

ગઇ મુદિત મન ગૌરિ નિકેતા ll

………………………………..બાલકાંડ – ૨૧૭

જળાશયની નજીક પાર્વતીજીનું મંદિર છે, જેની સુંદરતા વર્ણવી શકાય એવી નથી. એને જોતાં મન મુગ્ધ થઈ જાય છે. સખીઓ સાથે સરોવરમાં સ્નાન કરીને પ્રસન્ન ચિત્તે પાર્વતી મંદિરમાં ગઈ.

તારીખ ૩૧-૦૫-૨૦૦૩, શનિવાર

ૐ – એકાક્ષર મહામંત્ર છે.

મા – સવા અક્ષર મહામંત્ર છે.

પ્રેમ – અઢી અક્ષર મહામંત્ર છે.

રામ – બે અક્ષર મહામંત્ર છે.

રામ કથા એ “સ્વ” થી “સર્વ” માટે છે.

જન્મથી મૃત્યુ સુધીની યાત્રા એ જ રામ ચરિત માનસની યાત્રા છે.

વિશ્રામ સ્થાન બધે જ હોય છે.

વિશ્વાસ સ્થાનની ખોજ રામ ચરિત માનસ કરાવે છે.

વિશ્વાસ સ્થાન અતિ આવશ્યક છે.

વિશ્રામ સ્થાન ઘણા છે પણ વિશ્વાસ સ્થાન ઓછા છે.

રામ ચરિત માનસ વિશ્રામ સ્થાન છે.

જ્યાં ભવાની છે ત્યાં શંકર છે અને જ્યાં શંકર – શિવ – છે ત્યાં વિશ્રામ હોય જ અને તે વિશ્રામની સાથે સાથે વિશ્વાસ પણ હોય જ.

સ્વામી તો બહું છે, પણ સેવકની વધું જરુર છે.

“કબીરા કૂવા એક હૈ, પનિહારી અનેક;

બરતન સબ ન્યારે ભયે, પાની સબમેં એક.”

રામ કથાથી સેવક પેદા થાય; દાસ પેદા થાય, શિષ્ય પેદા થાય, બંદા પેદા થાય.

આજે દેશને સિધ્ધની જરુર નથી, પણ શુધ્ધની જરુર છે.

તારીખ ૦૧-૦૬-૨૦૦૩, રવિવાર

વ્યક્તિ જેટલો વધું પવિત્ર એટલો વધું પ્રસન્ન.

પવિત્ર કેવી રીતે થવાય?

અથર્વવેદનો મંત્ર પવિત્ર થવાના ચાર ઉપાય વર્ણવે છે.

પુનંતુ મા દેવ જનાઃ

પુનંતુ મનવો ધિયા

પુનંતુ મા વિશ્વા ભુતાની

પવ માનઃ પુના તું મા

જેનામાં દિવ્ય ગુણ છે એવો દિવ્ય પુરુષ પવિત્ર છે.

દિવ્ય વ્યક્તિમાં સત્ય, પ્રેમ અને કરુણા હોય. સત્ય, પ્રેમ અને કરુણાથી પવિત્રતા આવે.

દિવ્ય જનાઃ – દિવ્ય પુરુષ

દેવતાઓમાં આ ગુણ ન હોવાના ઘણાં દ્રષ્ટાંત છે.

સત્ય, પ્રેમ અને કરુણા સભર વ્યક્તિ પસે જતાં પ્રસન્નતા મળે; અંતર આનંદિત થાય.

મનવઃ એટલે મનનશીલ, નિરંતર ચિંતન કરનાર.

મૌન વ્યક્તિ પાસે જતાં આપણે પણ મૌન થવા પ્રયત્નશીલ થઈએ છીએ.

ગાય કંઈક અંશે મનનશીલ છે, તેથી પવિત્ર છે. તેનું દૂધ, ગોબર, મૂત્ર, સ્પર્શ વિ. પવિત્ર છે અને તે આપણને પણ પવિત્ર કરે છે.

વિશ્વમાં જેટલા તત્વો છે – પાંચ ભૂત – છે, પૃથ્વી, પવન, અગ્નિ, જલ, આકાશ; આપણને પવિત્ર કરે છે.

પવ માનઃ એટલે પરમાત્મા

પરમાત્મા આપણને પવિત્ર કરે છે.

પવિત્ર થવાના આ ૪ કેન્દ્ર સ્થાન છે.

આમાં બીજા બે કેન્દ્ર સ્થાન પણ ઉમેરી શકાય. આ બે સ્થાન નીચે મુજબ છે.

હનુમાનજી

હનુમાનજી આપણને પવિત્ર કરે છે.

અષ્ટ સિધ્ધિના દાતા હનુમાનજી છે. અષ્ટ સિધ્ધિ એટલે આઠ પ્રકારની શુધ્ધતા.

હનુમાનજી વાયુરુપ છે.

હનુમાનજી અગ્નિરુપ છે.

વાયુ અને અગ્નિ પવિત્ર કરનાર તત્વો છે.

મા

મા બધાને પવિત્ર કરે છે. મા દરેક વસ્તુને પવિત્ર કરે છે.

“તાકે જુગ પદ કમલ મનાવઉં

જાસુ કૃપા નિરમલ મતિ પાવઉં”

મા એ સવાક્ષર મહામંત્ર છે.

વ્યક્તિના જીવનમાં ૬ પ્રકારની અનુભૂતિ – ઊર્મિ (વૃત્તિ) હોય છે. …..વિવેકચૂડામણિ

શરીરની બે ઊર્મિ હોય છે, જે બુઢાપો અને મૃત્યુ છે.

મનની બે ઊર્મિ હોય છે જે શોક અને મોહ છે.

પ્રાણની બે ઊર્મિ હોય છે જે તૃષા અને ભૂખ છે.

આ ૬ વૃત્તિઓમાંથી મા આપણને પવિત્ર કરે છે.

સદગુરુ, શાસ્ત્ર, રામ વિ. મા છે.

હનુમાનજીને બુઢાપા અને મૃત્યુમાંથી મા – સીતાજી – મુક્ત કરે છે.

હનુમાનજી અજર અમર છે. જે અજર અમર છે તે જ હનુમાનજી છે.

મા જાનકી હનુમાનજીને મોહ, શોક, ભૂખ, પ્યાસથી પણ મુક્ત કરે છે.

લંકા મારા પાપથી બળી ગઈ એવું રાવણનું નિવેદન છે.

ધ્યાન માટે એકાંત જોઈએ.

પૂજા માટે થોડી ભીડ જોઈએ.

કુંવારી કન્યાએ ગૌરી પૂજા કરવી જોઈએ.

કુંવારા છોકરાએ ગુરુ પૂજા કરવી જોઈએ.

પૂજનમાં ગીત આવશ્યક છે.

પ્રેમમાં ગીત આવે તો તે પ્રેમ પૂર્ણ કક્ષાનો પ્રેમ નથી. પ્રેમ પૂર્ણ કક્ષાએ પહોંચે ત્યારે ગીત ન હોય પણ અશ્રુ હોય.

પૂર્ણ પ્રેમાં અશ્રુ હોય. પ્રેમનું ચરમ બિન્દુ અશ્રુ છે.

તુલસી મંદિરના બદલે ગ્રહ શબ્દનો ઉપયોગ કરે છે. નિકેત એટલે ઘર.

મંદિર ભાવનાનું કેન્દ્ર છે. મંદિર પાસે જલ તત્વથી મંદિરની શોભા વધે છે. જલ તત્વ એટલે સરોવર, નદી, સમુદ્ર વિ.

મનનું મોહિત થવું અને મુદિત થવું એ બે અવસ્થા છે.

મન પ્રસન્ન ન હોય તેનો અર્થ મનમાં કંઈક મલિનતા છે.

પૂજા પ્રેમ સહિત થવી જોઈએ.

પ્રેમ રહિત પૂજા કેવલ ક્રિયા કાંડ છે. કર્મકાંડ એક ભૂમિકા છે, પ્રસ્તાવના છે.

ભૂમિકા નાની હોવી જોઈએ અને ગ્રંથ મોટો હોવો જોઈએ.

કર્મકાંડ મોટો હોય તો ક્ષતિ રહી જવાના ભયથી ડર પેદા થાય છે.

“નિજ અનુરુપ સુભગ બરુ માંગા” એટલે આપણી ક્ષમતા અનુસાર, પાત્રતાને યોગ્ય માંગણી કરવી. તેમ છતાં ય ન માંગવું જ ઉત્તમ છે.

તારીખ ૦૨-૦૬-૨૦૦૩, સોમવાર

ઋગ્વેદનો મંત્ર

શ્રધ્યાગ્નિઃ સમિધ્યતે

શ્રધ્યા ભુયતે હમિઃ

શ્રધ્યામ્ ભગ્યસ્ય મૂરધની

વચશા વેદ યામસિ

મા શ્રધાનું પતીક છે.

અમે શ્રધાથી અગ્નિ પ્રજ્વલીત કરીએ છીએ. અમે શ્રધાથી હવનમાં આહૂતિ આપીએ છીએ.

શ્રધ્ધા એટલે મા. તેથી તો મા ને શ્રધ્ધા રુપેણ કહીએ છીએ.

ભવાનીનું એક રુપ શ્રધ્ધા છે.

શ્રધ્ધામાં હરિફાઈ નથી.

ભૌતિક જગતમાં હરિફાઈ હોઈ શકે, પણ આધ્યાત્મિક જગતમાં હરિફાઈ ન હોય; ફક્ત શ્રધ્ધા જ હોય.

આધ્યાત્મ જગત સદાય મૂડમાં જ હોય છે.

આધ્યાત્મ દ્રષ્ટિમાં દ્રૌપદીને રથી – અર્જુન નથી જોઈતો પણ સારથી – કૃષ્ણ જોઈએ છે.

આપણને કૃષ્ણની ફોજ નહીં પણ કૃષ્ણ જોઈએ છે.

બાહ્ય જગત ઉપર વિશ્વાસ કરવો અને આધ્યાત્મ જગતમાં શ્રધ્ધા રાખવી. શ્રધ્ધા મર્યાદામાં રાખવી જોઈએ.

શ્રધ્ધાના ૫ રુપ છે.

તુલસીએ “ગૌરી” શબ્દનો ૬ વખત પ્રયોગ કર્યો છે.

આ પાંચ કસોટી છે.

૧ ગૌરી નિકેત – મંદિર

૨ ગૌરી કર

૩ ગૌરી હર્ષ

૪ ગૌરી અસીસ

૫ ગૌરી અનુકૂલ

ગીતામાં શ્રધ્ધાના ૫ પ્રકાર છે.

અંદરની શ્રધ્ધા

અંદરની શ્રધ્ધા એ જ ગૌરી નિકેત, ગૌરી ગર્ભ ગ્રહ, ગૌરી મંદિર. શ્રધ્ધા અંતઃકરણનું આભૂષણ છે.

“મજબુરા સીડી જ્ઞાનકી અહીં કહીં રહ જાય,

મંઝિલ રાહી પ્યારકા, ભટકે ઔર પા ગયા.”

જે પ્રત્યક્ષ દેખાય તેનું ધ્યાન કરવાની જરુર નથી.

માનસીય શ્રધ્ધા

જે પ્રત્યક્ષ ન દેખાય ત્યારે ધ્યાનની જરુર છે.

ધનથી ધ્યાન શ્રેષ્ઠ છે. …..ઓશો

પ્રસાદ મળતાં હ્નદય પુલકીત થઈ જાય એ પ્રકારની શ્રધ્ધા.

ગૌરી અસીસ – આશીર્વાદ

પાત્રતા અનુસાર આશીર્વાદ મળે. આશીર્વાદમાં દ્રઢતા હોય એવી શ્રધ્ધા.

સેવા કરે એ સેવક. આજ્ઞા પ્રમાણે વર્તે એ જ સેવા. જે નાશ ન પામે અને વિફળ ન જાય તે આજ્ઞા.

પરમાત્મા અનુકૂળ છે એવી શ્રધ્ધા.

ગમે તેવી સ્થિતિ આવે તેનો શ્રધ્ધા પૂર્વક સ્વીકાર કરવો એ પ્રકારની શ્રધ્ધા.

સંન્યાસી તટસ્થ, કુટસ્થ હોય જ્યારે ભક્ત મધ્યસ્થ હોય.

ઉપદેશ કોઈ એક વ્યક્તિને લક્ષમાં રાખીને નથી કહેવાતો. ઉપદેશ તો તેના માધ્યમ દ્વારા બધા માટે હોય છે.

ગીતા ફક્ત અર્જુન માટે જ નથી, બધા માટે છે.

તારીખ ૦૩-૦૬-૨૦૦૩, મંગળવાર

ધર્મથી પ્રભાવિત કરવાની જરુર નથી પણ પ્રકાશિત કરવાની જરુર છે.

ગુરુના સાનિધ્યમાં કાર્ય કરવાથી કાર્ય અને સમાજ પ્રકાશિત થાય.

ચાયના તત્વો

-કથા રુપી ગંગાજળ

પરમ ધર્મ રુપી ગાયનું દૂધ

અહિંસા પરમ ધર્મ છે. ગુરુની આજ્ઞા અનુસાર કાર્ય કરવું એ પણ પરમ ધર્મ રુપી ગાય છે. ઉપકાર પરમ ધર્મ છે.

તુલસીની ચોપાઈ ચા ની પત્તી છે.

મીઠી બોલી ખાંડ છે.

સોરઠા સુંઠ છે.

કર્ણ – કાન કપ છે.

સ્વામી શરણાનંદના મત અનુસાર સાધના કરવા માટેના સૂત્રો નીચે મુજબ છે.

કંઈ જ ન કરવું અને સહજ રીતે વર્તવું.

બુરાઈ ન કરવી.

પરોપકાર કરવો.

ભલાઈ કરવી.

તમે કરેલી ભલાઈના બદલામાં કંઈ જ ફળની અપેક્ષા ન રાખો. કોઈ તમને તમારા ભલા કાર્ય માટે કંઈક આપે કે કહે તેવી અપેક્ષા ન રાખો.

તમે કરેલી ભલાઈનો અહંકાર ન કરો.

વક્તાના ૩ લક્ષણ નીચે પ્રમાણે છે.

વક્તા અકારણ બોલ બોલ ન કરે.

વક્તા કદી ય ન વેચાય. વક્તા કદીય કોઈ પણ પ્રલોભનમાં ન આવે.

વક્તા કદી ય બચત ન કરે. તે બધું જ આપી દે, બધું જ આપતો જ જાય.

શ્રોતાનાં લક્ષણ નીચે પ્રમાણે છે.

શ્રોતા કદી ય સુકાઈ ન જાય, નીરસ ન થઈ જાય. તેની કથા સાંભળવાની રસિકતા કાયમ રહે, તે રસ હીન ન થાય.

શ્રોતા સસ્તો ન હોય. શ્રોતા દ્વારા જ કથાપાન વિસ્તાર પામે.

શ્રોતા બેહોશ ન હોય, સુષુપ્ત ન હોય. શ્રોતા સુઈ ન જાય તેમજ સારી રીતે કથા પાનનું શ્રવણ કરે.

“કબીરા હંસના છોડ દે, રોનેસે કર પ્રિત

બિન રોયે કિન પાયે……..”

કથા મન મારક માટે છે, મનોરંજન માટે નથી.

પરીક્ષિત, અર્જુન વિ. મુલ્યવાન શ્રોતા છે.

શ્રોતા પૃથ્વી છે, વક્તા આકાશ છે.

તારીખ ૦૪-૦૬-૨૦૦૩, બુધવાર

કથાના આયોજકના લક્ષણ નીચે પ્રમાણે છે.

આયોજકમાં નિમિત્ત બનવાની ક્ષમતા હોય.

આયોજક ભગવાન કૃપાથી નિમિત્ત બને.

આયોજક વિનમ્ર બનીને, ઝુકી ઝુકીને કથાનું આયોજન કરે.

આયોજકે કથાના આયોજન માટે ચિંતા ન કરવાની હોય. નિસ્ચિંત બનીને આયોજન કરવાનું હોય.

ભવાની રામની શોધમાં હોવાથી તે શ્રોતા છે. શંકરને રામનું જ્ઞાન છે, તેથી તે વક્તા છે.

શ્રોતા શોધમાં હોય, ખોજમાં હોય, વક્તામાં બોધ હોય.

કથા સાંભળવાની આવડત આવી જાય તો તે પણ પર્યાપ્ત છે.

અદાસે ચલો, ખુદા મિલેગા,

ઇસ પાર ભી, ઉસ પાર ભી.

લેકીન ઈન્તિહા શર્ત હૈ.

…………………….મજબુર સાહેબ

મા શ્રોતા અને વક્તા બંનેને નિર્વિઘ્ન કરે છે. તે વક્તાનો અહંકાર દૂર કરે છે અને શ્રોતાની મલિનતા દૂર કરે છે.

સુફીવાદ પ્રમાણેના અર્થ

ઘર કે ગ્રહ

ઘર મારું પણ છે અને તારું પણ છે. જ્યાં મારું તારું માં જ જિંદગી જાય તેને ઘર કહેવાય.

નિકેત

નિકેત એ છે જ્યાં મારું એ તારું છે એવો શાંતિનો સંદેશ આપે.

ભવન

ભવન તેને કહેવાય જ્યાં મારું પણ નહિં અને તારું પણ નહિં એવો ભાવ હોય, સંદેશ હોય. મારું તારું મટી જાય ત્યારે તે ભવન બને.

મંદિર

હું પણ નહિં અને તુ પણ નહિં એવો ભાવ જ્યાં હોય તેને મંદિર કહેવાય. ચિદાનંદરુપો શિવોહમ શિવોહમ નો ભાવ આવે ત્યારે તે મંદિર બને. આ બહું કઠિન ભૂમિકા છે.

માનસિકતા બદલાતાં ક્રમશઃ ગ્રહમાંથી નિકેત બને, નિકેતમાંથી ભવન બને અને અંતમાં ભવનમાંથી મંદિર બને.

પહેલાં ચરણ સ્પર્શ દ્વારા હાથ પવિત્ર કરી પછી હાથ જોડી વંદન કરો.

તારીખ ૦૫-૦૬-૨૦૦૩, ગુરુવાર

ચરણ સ્પર્શમાં આચરણનું અનુકરણ પણ આવી જાય છે. ચરણ સ્પર્શ ફક્ત સ્પર્શ જ નથી.

આચરણને આત્મસાત કરો.

જય શબ્દ ૪ વાર વપરાયો છે.

બીજાનો જય એટલે પોતાનો પરાજય.

ગૌરી એટલે

૧ હિમાલયની પત્રી

૨ શંકરની પત્ની

૩ ગણેશ અને કાર્તિકેયની માતા છે.

મા પાર્વતી કે જે હિમાલય પુત્રી છે તેનામાં પિતાના – હિમાલયના નીચેના ચાર ગુણો આવેલા છે.

હિમાલય સિધ્ધોની ભૂમિ છે.

પર્વતના ખાસ ગુણ છે, જે નીચે મુજબ છે.

૧ સ્થિરતા

૨ ધૈર્ય

૩ ઉંચાઈ

૪ ગહનતા

સ્થિરતા અને ધૈર્યમાં ફેર છે. ધીરતા મનનું લક્ષણ છે.

સ્થિરતા અને ધીરતા બંને હોય તો જ ભજન થાય.

પહોળાઈ કરતાં ઊંચાઈની મહિમા વધારે છે. લંબાઈ કરતાં ઊંચાઈનું મહત્વ વધારે છે.

મહાભારતમાં યક્ષ પાંચ પ્રશ્ન પૂછે છે જેના જવાબ નીચે પ્રમાણે છે.

૧ ભારેમાં ભારે તત્ત્વ “મા” છે. કારણ કે “માતૃદેવો ભવ” નું સૂત્ર આપણે અપનાવ્યું છે.

૨ ઊંચામાં ઊંચુ તત્વ પિતા છે.

૩ સૌથી વેગવાન વસ્તું મન છે.

૪ તુચ્છ વસ્તું માગણી છે.

ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ પહેલાંની કન્યાની અપેક્ષાઓ નીચે પ્રમાણે છે. આ અપેક્ષાનો સંકેત ચાર વાર જય શબ્દ વપરાયો છે તેના તરફ છે. આ ચાર જયનો સંકેત ધર્મ, અર્થ, કામ અને મોક્ષ તરફ છે.

પ્રથમ જયનો સંકેત ધર્મ તરફ છે. કન્યા એવું ઈચ્છે છે કે તે તેના માતા પિતાના સંસ્કારને સાચવે, એટલે કે ધર્મનું પાલન કરે.

દ્વિતીય જયનો સંકેત અર્થ તરફ છે. કન્યા એવું ઈચ્છે છે કે તેના પતિની અને પતિગૃહની સંપત્તિમાં વધારો થાય, અર્થ સંપન્ન્તા વધે.

ત્રીજા જયનો સંકેત કામ તરફ છે. કન્યા અપેક્ષા રાખે છે કે તેના પતિના વંશમાં વધારો થાય, સંતતિ વધે.

ચોથા જયનો સંકેત મોક્ષ પ્રાપ્તિનો છે.

બધા લક્ષ્મી, શક્તિ અને વાણીના વંશમાં છે.

લક્ષ્મી-

શક્તિ – ભવાની

વાણી – સરસ્વતી

ભગવાન શંકર ગૌર વર્ણના છે અને તેથી તેના ઉપરથી ગૌરી શબ્દ આવ્યો છે.

કાર્તિકેય પુરુષાર્થ છે અને ગણેશ વિવેક છે.

તારીખ ૦૬-૦૬-૨૦૦૩, શુક્રવાર

કથા શ્રવણ ન થવાથી આ દિવસમાં લખી શકાયું નથી.

તારીખ ૦૭-૦૬-૨૦૦૩, શનિવાર

ઉપાસનામાં ઉપાસ્ય, ઉપાસક અને ઉપાસના આવે.

ઉપાસ્ય શ્રેષ્ઠ હોવો જોઈએ, ઉપાસક કીંકર હોવો જોઈએ. ઉપાસક સેવક હોવો જોઈએ. ઉપાસક દીન હોવો જોઈએ. તેનામાં શરણાગતિનો ભાવ હોવો જોઈએ.

ઉપાસના મધ્યમ હોવી જોઈએ.

ગિરિજાનું રુપ સૌમ્ય છે.

૪ પ્રકારે માળા ધારણ કરાય છે જે નીચે મુજબ છે.

પ્રલંભ માલા – આ માલા ગળાથી નાભી સુધીની હોય છે.

વિક્ષેપક માળા – આ માળા જનોઈ માફક ધારણ કરાય છે.

લલામ માળા – આ માળા માથા ઉપર ધારણ કરવામાં આવે છે.

આ પ્રકારની માળા કંઠથી હ્નદય સુધીની હોય છે.

વરમાળા

નાગમાળા

મુંડમાળા

જપમાળા

કરમાળા

પુરારિ એટલે ત્રિપુરારિ જે શિવજી છે.

જાનકી જ્યારે મા પાર્વતિને માળા પહેરાવે છે ત્યારે ભવાનીની મૂર્તિ હસે છે. મૂર્તિનું હસવું અમંળ છે પણ પુજારીનું હસવું મંગળ છે. પણ અહીં તુલસી મૂર્તિ હસવાની વાત અમંગળ છે તે સૂત્રનો નિષેધ કરે છે.

મૂર્તિ હસવાનાં કારણો નીચે પ્રમાણે છે.

જાનકી માળા મૂર્તિના પગમાં પહેરાવે છે. તેથી મૂર્તિ હસે છે.

જાનકીની ઊંમર નાની છે છતાં ય વર માટે પૂજા કરે એ જાણી મૂર્તિ હસે છે.

ભવાનીને પણ તેમનો વર પ્રાપ્તિનો સમય યાદ આવતાં હસે છે.

મૂર્તિ જાનકીના જીવનમાં ભવિષ્યમાં આવનાર પ્રસંગો જેવા કે ભૂમિમાં સમાવવુ વિ. જાણીને હસે છે.

તારીખ ૦૮-૦૬-૨૦૦૩, રવિવાર

શ્યામ રંગ વિશાળતા, ગંભિરતાનો પ્રતીક છે.

ભૌતિક સુખથી થયેલ હર્ષ રોગ છે જ્યારે શાસ્વત સુખથી થયેલ હર્ષ રોગ નથી પણ યોગ છે.

સદગુરુ સિધ્ધ હોય છે તેમજ શુધ્ધ પણ હોય છે.

No comments:

Post a Comment